અમદાવાદ, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | શ્રીહરિ ફાઉન્ડેશન, મારવાડ મિત્ર અને વિશ્વ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે સમસ્ત પ્રજાપતિ સમાજ માટે યુવક-યુવતી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન રવિવાર, તા. 28 જૂન, 2026ના રોજ અમદાવાદના ઓઢવ સ્થિત શ્રી કુમાવત સેવા ટ્રસ્ટ વાડી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું.
આ સંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ તેમજ વિદેશમાં વસતા પ્રજાપતિ સમાજના યુવક-યુવતીઓ સહિત આશરે 200 જેટલા નોંધાયેલ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શ્રીહરિ ફાઉન્ડેશનના સંયોજક પુખરાજભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રજાપતિ સમાજને એક મંચ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ વખત આ પ્રકારના સર્વસમાવેશક પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન યુવક-યુવતીઓને એકબીજાનો પરિચય મેળવવાની, પરિવારો સાથે મુલાકાત કરવાની તથા યોગ્ય જીવનસાથીની પસંદગી માટે અનુકૂળ અને વ્યવસ્થિત માહોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.
આ આયોજન દ્વારા પ્રજાપતિ સમાજમાં એકતા, પરસ્પર સંપર્ક અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
== સમાપ્ત ==
