તલગાજરડામાં કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ
તલગાજરડા, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — પૂજ્ય મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. ચાલુ વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ 49 મો ચતુર્દિવસીય મહોત્સવ આજે હનુમાન જયંતીના દિવસે તા.2 એપ્રિલ ના રોજ સમાજના વિવિધ કલાકારો અને સમાજસેવીઓને અલગ અલગ સન્માન-એવોર્ડ અર્પણ કરીને સંપન્ન થયો.
આ એવોર્ડની શૃંખલામાં આજે હિન્દી ફિલ્મના અભિનેત્રી સુશ્રી શબાના આઝમીને નટરાજ એવોર્ડ અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા.આ સન્માનના પ્રતિભાવમાં અભિનેત્રી સુશ્રી શબાના આદમી એ કહ્યું કે મને ઘણાં સન્માનો એવોર્ડ્સ વગેરે પ્રાપ્ત થયા છે. પરંતુ આજે પૂજ્ય મોરારિબાપુ દ્વારા અને તેમના વરદ્ હસ્તે મળી રહેલા આ એવોર્ડથી ધન્યતાપૂર્ણ અનુભવ કરીને હવે સામાજિક જવાબદારી તેનાથી વધી છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. તેઓએ વિવિધ કલાઓ દ્વારા સામાજિક ક્રાંતિ પણ થઈ શકે તેમ દ્રઢતાપૂર્વક જણાવ્યું.સુશ્રી શબાના આઝમી પદ્મ પુરસ્કાર તથા વિવિધ ફિલ્મ જગતના એવોર્ડ મેળવી ચુક્યા છે.તેઓ રાજ્યસભાના મનૌનિત સભ્ય પણ રહી ચુક્યા છે.
ચતુર્દિવસીય આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુએ આશીર્વાદક વાણીને મુખર કરતા કહ્યું કે તમે સૌ કલા સાધકો અમારી આ વંદના કબૂલ કરવા અહીં આવો છો તેનાથી અમે જાતને ગૌરવપૂર્ણ સમજીએ છીએ. જીવનમાં સાત આહાર એવા છે કે જે આપણી ઊર્જાને ઉર્ધ્વગામી કરે છે. જેમાં ગાયન, વાદન, નર્તન,એકાંત,મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય. હનુમાનજી મહારાજ આ વિવિધ વિધાઓની પ્રસ્તુતિથી પ્રસન્ન થાય છે. એટલે કલા પણ એક પ્રકારનો આહાર જ છે. હનુમાનજી મહારાજ સમાજની વિવિધ વર્ગો લોકોની ખોજ કરીને એક સેતુ બનાવે છે.
પ્રતિ વર્ષની જેમ આજે સમાજના જુદા જુદા ક્ષેત્રના વિદ્યાધરો-કલાકારોને એવોર્ડ્સ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.આજે કુલ 13 એવોર્ડ અર્પણ થયાં જેમાં શ્રી. સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી( મદ્રાસ)ને સદ્ભાવના એવોર્ડ, શ્રી કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ (ચિત્રકલા માટે ), શ્રી શ્યામલ મુનશી – શ્રી સૌમિલ મુનશીને શ્રી અવિનાશ વ્યાસ એવોર્ડ, શ્રી વસંતકુમાર મ. ભટ્ટને વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ, શ્રીમતી શુચિતા વાય.મહેતાને ભામતી (સંસ્કૃત) એવોર્ડ, શ્રી. રમેશભાઈ બી. નાયકને (ભવાઈ) નટરાજ એવોર્ડ, શ્રી અરવિંદ વૈદ્યને (નાટક) નટરાજ એવોર્ડ, શ્રી કંવરજીત પેન્ટલ (ટી.વી સીરીયલ) નટરાજ એવોર્ડ, સુશ્રી શબાના આઝમી (હિન્દી ફિલ્મ) નટરાજ એવોર્ડ, ગુરુશ્રી રતિકાંત મહાપાત્ર (ઓડિસી નૃત્ય) હનુમંત એવોર્ડ, શ્રી. ઓજસ અઢિયા, (તાલવાદ્ય-તબલાં) હનુમંત એવોર્ડ, શ્રી.દેબાશીશ ભટ્ટાચાર્ય (વાદ્યસંગીત-ગીટાર) હનુમંત એવોર્ડ અને વિદુષી કૌશિકી ચક્રબર્તીને (શાસ્ત્રીય ગાયન) હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. અર્પણ કરવામાં આવેલા એવોર્ડમાં રોકડ ધન રાશિ, પ્રશસ્તી પત્ર અને સૂત્રમાળલાથી તમામ કલાવિદો,જ્ઞાનવાન મહત્ પુરુષોનું સન્માન કરવામાં આવ્યું.
આજના સમારંભમાં જગતગુરુ પૂ. સંતોષદાસજી મહારાજ -બનારસ, પૂ.મુરલી બાબા- ઓમકારેશ્વર, પૂ.મહામંડલેશ્વર ગોપાલબાબા -કાશી વિશ્વનાથ તથા વિવિધ ગુણીજનો ઉપસ્થિત હતા. કાર્યક્રમના સંચાલક અને ગાયક શ્રી હરિશ્ચંદ્ર જોશીની અવિરત 50 વર્ષની આ ક્ષેત્રની સેવાને પૂ.બાપુએ બિરદાવીને તેમનું પણ સન્માન કર્યું હતું.
સમગ્ર આયોજનની સફળતામાં સંયોજક શ્રી જયદેવભાઈ માંકડ તથા સંગીતની દુનિયાના શ્રી નિલેશભાઈ વાવડીયા વગેરે જોડાયાં હતાં.
