અમદાવાદ, ગુજરાત | ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — નીમા વિદ્યાલય સંકૂલ નવદીપ હાઇસ્કૂલહંમેશા પ્રવૃતિઓથી ધમધમતું શાળા સંકૂલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આચાર્ય સાથે શિક્ષકો સતત વિવિધ પ્રવૃતિઓમાં આયોજન કરે છે. ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓના સ્માન સમારંભનું અદભૂત આયોજન આ સંકૂલ દ્વારા કરાયું હતું. કુલ 133 વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારંભમાં 22 બેસ્ટ સ્ટુડન્ટ્સ, 49 મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ્સ તથા 62 સૈનિક ફંડમાં ફાળો આપનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. બેસ્ટ સ્ટુડન્ટ્સની પસંદગી શૈક્ષણિક પ્રગતિ, શિસ્ત, નિયમિતતા અને સર્વાંગી વિકાસના માપદંડોના આધારે કરવામાં આવી હતી.મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓ સતત 2 વર્ષથી 6 વર્ષ સુધી એકપણ દિવસ રજા પાડ્યા વગર શાળામાં નિયમિત હાજર રહ્યા હતા.ઉપરાંત સૈનિક કલ્યાણ ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપનાર 62 વિદ્યાર્થીઓને પણ વિશેષ રીતે બિરદાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ પ્રવૃત્તિઓનો શ્રેય શાળાના આચાર્ય શ્રી સહદેવસિંહ એસ સોનગરા, શિક્ષકો તથા શાળાના ટ્રસ્ટી મંડળને જાય છે. આ વિશેષ પ્રસંગે બ્રહ્માકુમારી શ્રી ચંદ્રિકા બહેન યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી મહેશભાઈ દવેના હસ્તે બાળકોનું સન્માન કરાયું હતું.
વર્ષની શરૂઆતથી આખા વર્ષનું પ્રવૃતિ કેલેન્ડર બનાવવામાં આવે છે.શાળાને વર્ષ -2016-17 માં અને વર્ષ -2025-26માં ગુજરાત રાજય શિક્ષણ વિભાગ ધ્વારા (2) બે વખત શ્રેષ્ઠ શાળા સન્માનપત્ર તથા બંને વખત લાખ-લાખ રૂપિયા ઈનામ મળ્યુ છે.શાળાના આચાર્ય શ્રી સહદેવસિંહ એસ સોનગરા સાહેબને વર્ષ-2021માં ગુજરાત રાજયના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા. દર વર્ષે સૈનિક ફંડ કલેક્શન પ્રવૃતિ માટે છેલ્લા સાત વર્ષથી જીલ્લા કલેકટરશ્રી ધ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપવામાં આવે છે.શાળામાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત રાજયના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી વિશ્વ રેકર્ડ બનાવવામાં શાળાએ સહિયોગ કર્યો હતો.
વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી પ્રતિયોગિતામાં ભાગ લેવા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે બાળકો શાળાના માર્ગદર્શન પ્રમાણે બધા જ માપદંડોમાંથી પસાર થાય તેમની વર્ષાન્તે યાદી બનાવવામાં આવે છે અને દરેક બાળકનું મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. જે બાળકોની હાજરી સારી હોય, લેશનમાં નિયમિત હોય, શિસ્તબધ્ધ હોય, સૈનિકફંડમાં ફાળો આપતા હોય, દર મંગળવારે પ્રાર્થનાસભામાં ભાગ લેતા હોય, શાળા બહારની વિવિધ પરીક્ષાઓમાં ભાગ લઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કરતા હોય,શાળાની જુદી-જુદી પ્રવૃતિમાં સેવા આપતા હોય, રક્તદાતા લાવતા હોય એ બધા જ બાળકો પોતપોતાની ફાઇલ બનાવે છે અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તૈયાર કરે છે.આમ કુલ 100 માર્કમાંથી ઉચ્ચત્તમ માર્ક લાવનાર વિદ્યાર્થીને વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે વાર્ષિકોત્સવમાં ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે છે. આમ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 22 બાવીસ વર્ગોમાંથી 22 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માનિત કરવામાં આવે છે.
આ સિવાય શાળામાં વિદ્યાર્થીઓને જન્મદિવસે ચોકલેટ વહેંચવાને બદલે રાષ્ટ્રીય સૈનિક કલ્યાણ ફંડમાં ફાળો આપવા માટે પ્રેરણા આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી પોતાના જન્મદિવસે જે ફાળો આપે તેનો વાર્ષિક હિસાબ પણ વિદ્યાર્થીઓ જ રાખે છે.અને છેલ્લા સાત વર્ષમાં વિદ્યાર્થીઓના સહિયોગથી સૈનિક કલ્યાણ ફંડમાં નવ લાખ રૂપિયા જેટલું ફંડ એકત્રિત કરી સૈનિક કલ્યાણ ભંડોળમાં જમા કરાવવામાં આવે છે, આંદાવાદ શહેર કલેક્ટરશ્રી ધ્વારા અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ધ્વારા સંયુક્ત રીતે શાળાને દર વર્ષે ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવે છે.
શાળામાં વર્ષ દરમ્યાન ગાયત્રી પરિવાર ધ્વારા લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાનયજ્ઞ પરીક્ષા,ભારત વિકાસ વર્તુળ-ભાવનગર ધ્વારા લેવાતી સામાન્યજ્ઞાનની પરીક્ષા,ગુજરાત વિદ્યાપીઠ ધ્વારા લેવાતી હિન્દીની વિવિધ પરીક્ષાઓ, કલાશિક્ષક સંઘ ધ્વારા યોજાતી ચિત્ર હરિફાઇઓ,સરદાર પટેલ સ્મૃતિ સંસ્થાન ધ્વારા યોજાતી વિવિધ હરિફાઇઓ,ટાટા કંપની ધ્વારા બાળવિકાસ માટે લેવાતી પરીક્ષા વગેરેમાં શાળાના મહત્તમ બાળકો ભાગ લઈ પ્રમાણપત્રો મેળવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
નિયમિતતા એ સફળતાની ચાવી છે. બાળકો શાળામાં નિયમિત આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે બાળકો આખું વર્ષ એકપણ દિવસ રજા પાડયા વગર શાળામાં આવે તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને એક વર્ષ કરતા વધારે સમય સુધી નિયમિત આવતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવે છે. આ રીતે દર વર્ષે નિયમિત આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. શાળામાં સતત આઠ વર્ષથી બાર વર્ષ સુધીની નિયમિત રહેનાર વિદ્યાર્થીઓને ભૂતકાળમાં રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી સાહેબ,પ્રવર્તમાન શિક્ષણમંત્રી શ્રી આનંદીબેન પટેલ ધ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત મહામહિમ રાજયપાલ શ્રી આચાર્યદેવવ્રત,પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા બોલાવીને રાજભવનમાં પ્રોત્સાહન આપવામાં આવેલ છે.
વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારો,જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ધ્વારા માર્ગદર્શન પ્રમાણે વિવિધ ઉત્સવો, વિજ્ઞાનમેળા,યુવા ઉત્સવ, કલા ઉત્સવ વગેરેમાં શાળાના મહત્તમ બાળકો ભાગ લે તેવુ આયોજન કરવામાં આવે છે. માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રવૃતિ સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે સાથે શાળામાં શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે તેનું પણ સુપ્રેરે ધ્યાન રાખવામાં આવે છે. શાળાનું એસ.એસ.સી. બોર્ડનું પરિણામ દર વર્ષે ૯૦% ટકા કરતા વધારે આવે છે. ગુણોત્સવમાં પણ શાળાને સારા ગ્રેડ મળે છે. શૈક્ષણિક અને સહઅભ્યાસ પ્રવૃતિને સુચારૂ સંચાલન કરવા માટે શિક્ષકોને તાલિમ આપવી જરૂરી છે. શાળાના આચાર્યશ્રી ધ્વારા દરવર્ષે દિવાળી વેકેશનમાં બે-ત્રણ દિવસ બહારના તજજ્ઞોને બોલાવીને શિક્ષક સજ્જતા તાલિમ શાળા કક્ષાએ યોજવામાં આવે છે. બાળવર્ગથી ધો-૧૨ સુધી શિક્ષણકાર્ય કરતા શિક્ષકોને આ તાલીમમાં જોડવામાં આવે છે. બાળકોની ઉમંર પ્રમાણે મનોવૈજ્ઞાનિક રીતે શિક્ષકો બાળકોને સમજીને વ્યવહાર કરે તેવી તાલિમ આપવામાં આવે છે.
શાળા એ સરસ્વતીનું મંદિર છે. અને વર્ષ દરમ્યાન શાળામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષકો અને આચાર્ય ધ્વારા વિદ્યાર્થીઓમાં નિરંતર સેવા, શિક્ષણ અને સંસ્કારનું સિંચન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. વર્ગખંડોની દિવાલોમાં શ્વાસ લઈ રહેલા ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નોમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે નીમા વિદ્યાલય નવદીપ હાઈસ્કૂલ પ્રતિબધ્ધ છે.
≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡
