Truth of Bharat
એક્ઝિબિશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા 2026” ગાંધીનગરમાં નીતિગત સમર્થન અને વૈશ્વિક સહભાગિતા સાથે શરૂ – એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું

18મી આવૃત્તિ ભારતનો સ્વચ્છ ઉર્જા અપનાવવા થી ટેકનોલોજી નેતૃત્વ તરફના પરિવર્તનનો સંકેત આપે છે

ગાંધીનગર, ગુજરાત | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા (અગાઉ ઇન્ટરસોલર ઇન્ડિયા તરીકે ઓળખાતું ) ની 18મી આવૃત્તિનો આજે ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમ સૌર ઉર્જા, એનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે કાર્યરત નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વૈશ્વિક સંશોધકોને એક મંચ પર લાવે છે.

મેસે મુન્ચેન ઇન્ડિયા દ્વારા આયોજિત, ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા’ હવે માત્ર ઇન્ટરસોલર ઇન્ડિયા જ નહીં, પરંતુ ઇઇએસ ઇન્ડિયા, પાવર2ડ્રાઇવ ઇન્ડિયા અને ઇવી એશિયા એક્સ્પોને પણ એક જ છત નીચે લાવે છે. આ આયોજન ભારત જે રીતે ઉર્જા પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે, તેમાં આવેલા મોટા બદલાવને પ્રતિબિંબિત કરે છે.

આ વર્ષની આવૃત્તિમાં 15 થી વધુ દેશોના 280 થી વધુ પ્રદર્શનકર્તાઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનની સાથે સાથે બાંધેજ, ધ લીલા હોટેલ, ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલિસી, ટેક્નોલોજી અને ક્લીન એનર્જી બિઝનેસ ઇનોવેશનના 60 થી વધુ સ્પીકર્સ સામેલ છે. તેના આઉટરીચ પ્રયાસોના ભાગરૂપે , અભિનેતા પ્રતિક ગાંધીએ ‘બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા 2026’ ને સમર્થન આપ્યું છે.

આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો અને માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા ,વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા ,કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારી હતી.

સભાને સંબોધતા, ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતનું ઉર્જા પરિવર્તન નિર્ણાયક અને સતત રહ્યું છે, જેમાં 2001 થી અત્યાર સુધીમાં વીજ ઉત્પાદનમાં લગભગ દસ ગણો વધારો થયો છે અને ટ્રાન્સમિશન તેમજ ગ્રાહક જાગૃતિમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલા વિઝનથી માર્ગદર્શન મેળવીને, રાજ્યએ પર્યાવરણીય જવાબદારીને વહેલી તકે અપનાવી લીધી હતી અને આજે પવન ઉર્જા, સૌર ઉર્જા અને બેટરી સ્ટોરેજમાં અગ્રેસર છે. અમારી નવી લોન્ચ કરાયેલ નીતિ-સંચાલિત માળખાગત વ્યવસ્થાઓ દરેક ગંભીર રોકાણકાર માટે પારદર્શિતા અને સમાન તક સુનિશ્ચિત કરે છે. તે ગૌરવની વાત છે કે ગુજરાત વીજળીના વપરાશમાં સર્વોચ્ચ ક્રમે છે, જે મજબૂત ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા’ જેવા પ્લેટફોર્મ સંશોધકો, ઉત્પાદકો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવીને ભારતના ગ્રીન એનર્જી ભવિષ્યને આગળ વધારવા માટે આ ગતિને વધુ મજબૂત બનાવે છે.”

આ વર્ષની કોન્ફરન્સની થીમ, એડોપ્શન ટુ લીડરશીપ: ટેક્નોલોજિકલ ઇનોવેશન દ્વારા આત્મનિર્ભર ભારતને શક્તિ આપવી , ટેકનોલોજીની સજ્જતા અને આત્મનિર્ભરતામાં આવી રહેલા વ્યાપક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ચર્ચાઓ એ બાબત પર કેન્દ્રિત છે કે ભારત કેવી રીતે માત્ર સ્વચ્છ ઉર્જાના મોટા બજાર સુધી મર્યાદિત ન રહેતા, ટેકનોલોજીના વિકાસ અને અદ્યતન ઉત્પાદન માટે વૈશ્વિક હબ બની શકે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રોમાં સ્થાનિક મૂલ્ય શૃંખલા , ઉત્પાદન ક્ષમતામાં વધારો, ગ્રીડ ઇન્ટિગ્રેશન, સ્ટોરેજ ડિપ્લોયમેન્ટ અને ગ્રીન હાઇડ્રોજન વિસ્તરણનો સમાવેશ થાય છે.
2026ની આ આવૃત્તિમાં ‘વોઈસ ઓફ ઈન્ડિયાઝ એનર્જી લીડર્સ – ધ સ્માર્ટર ઈ ઈન્ડિયા પોડકાસ્ટ સિરીઝ’ અને ‘ઈનોવેશન ફોરમ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને આ ક્ષેત્રને આકાર આપતા બિઝનેસ લીડર્સના મંતવ્યોને કંડારીને, ઉદ્યોગ જગતની ચર્ચાઓને પ્રદર્શનના મેદાનથી પણ આગળ લઈ જવાનો છે.

આઈએમઈએ – મેસે મુન્ચેન ના પ્રેસિડેન્ટ અને મેસે મુન્ચેન ઇન્ડિયાના સીઈઓ શ્રી ભૂપિન્દર સિંઘે આ ટ્રેડ ફેરના ઉત્ક્રાંતિ વિશે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે , જે એક સોલર પ્રદર્શન તરીકે શરૂ થયું હતું, તે આજે ભારતની ઉર્જા પરિવર્તનની સફરની સાથે વિકસ્યું છે. આજે, ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા’ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રના તમામ પાસાઓ — સૌર ઉર્જા અને એનર્જી સ્ટોરેજથી લઈને ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક મોબિલિટી સુધી — માટે એક સમાન મંચ બની ગયું છે. તમે અહીં જે જોઈ રહ્યા છો તે વાસ્તવિક પ્રોજેક્ટ્સ, વાસ્તવિક રોકાણો અને વાસ્તવિક પરિણામો વિશે છે. અહીં થનારી ચર્ચાઓ સમગ્ર વેલ્યુ ચેઇનમાં લેવાનારા નિર્ણયો પર પ્રભાવ પાડશે.

સોલર પ્રમોશન જીએમબીએચ ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ફ્લોરિયન વેસેનડોર્ફે વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી સુસંગતતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે , “ભારત હવે માત્ર વિશ્વના સૌથી મોટા સ્વચ્છ ઉર્જા બજારોમાંનું એક નથી, પરંતુ તે એક સિરિયસ ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સહકાર, જ્ઞાનનું આદાન-પ્રદાન અને લાંબા ગાળાની ભાગીદારી વૃદ્ધિના આગામી તબક્કાને વ્યાખ્યાયિત કરશે. ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા’ તે માટેનું એક સમાન મંચ પૂરું પાડે છે.”

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારો ની મજબૂત સહભાગિતા સાથે, ‘ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા 2026’ ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં ડિલિવરી, વિશ્વસનીયતા અને લાંબા ગાળાના અમલીકરણ અંગે કેન્દ્રિત ચર્ચાઓને વેગ આપે તેવી અપેક્ષા છે.

આ ટ્રેડ ફેર અને કોન્ફરન્સ 27 ફેબ્રુઆરી 2026 સુધી ગાંધીનગરમાં ચાલુ રહેશે, જે નીતિ નિર્માણ, ઉત્પાદન , પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને ટેકનોલોજી ક્ષેત્રના હિસ્સેદારોને એકમંચ પર લાવશે.

 

Related posts

Amazon.inના ‘Get Fit Days’ સાથે તમારી ફિટનેસ સફરની ધમાકેદાર શરૂઆત કરો, 1 જાન્યુઆરી 2026થી શરૂ

truthofbharat

આપણે અન્ય કોઈ કારણથી અશાંત નથી, આપણા પોતાના કારણે જ અશાંત બનીએ છીએ

truthofbharat

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

Leave a Comment