Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે?

વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છે.

પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ તથા દેશ-વિદેશનાં બહુશ્રૃતોની એવોર્ડ દ્વારા વંદના કરવામાં આવી.

વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા માટે આવી છે.

રામ શીલા-પથ્થર લઈને સેતુ બનાવે છે,હું પોથી લઈને સેતુ બનાવી રહ્યો છું.

વિશ્વ વિદ્યાલયનાં નિયમોને કોઈ તકલીફ ન થાય તો ચારેય વેદ,રામચરિતમાનસ અને વાલ્મિકી રામાયણ અહીં રાખીને જવું છે.

ભારતની બહાર પહેલી વખત ત્રિભુવનીય સદગ્રંથનાં સર્જકની દિવ્ય જયંતિની ઉજવણીની સમાંતર રામકથાનાં જ્યાં વહી રહી છે એ વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીનાં ઐતિહાસિક હોલમાં પાંચમાં દિવસે ભારતથી પધારેલા અનંત શ્રીવિભૂષિત પરિવ્રાજકાચાર્ય જગદગુરુ પૂજ્ય સ્વામીશ્રી રામકમલ દાસ વેદામતીજી મહારાજ(કાશી)એ કવિશ્વર(વાલ્મીકીજી) અને કપિશ્વર(હનુમાનજી)નો રસાળ પ્રસંગ રજુ કર્યો.

નાનકડી વિધામાં હેમાબહેન ઠક્કર(કર્મનો સિધ્ધાંત ફેઇમ હીરાભાઇ ઠક્કરનાં પુત્રી) દ્વારા દોહિત્ર અનુજે અંગ્રેજી ભાષાંતર કરેલા ગ્રંથનું બાપુનાં હસ્તે લોકાર્પણ થયું. ઉપરાંત યુગતુલસી પદ્મભૂષણ  વિભૂષિત રામકીંકરજી મહારાજનાં વિચારોને સંકલિત અને ભાષાંતરિત કરનાર મા મંદાકીની રામકીંકરજી દ્વારા ‘રામ-અલ્ટીમેટ ટ્રૂથ એન્ડ મીથ’ અને ‘કામ-બિયોન્ડ પેશન’નું તથા ‘અષ્ટાદશ પુરાણ દર્શન'(સંકલન-લેખન:ડો.મહાદેવ પ્રસાદ મહેતા)નું બાપુનાં શુધ્ધ હસ્તે લોકાર્પણ થયું.

રામકથાનો મધ્ય-પાંચમો દિવસ, તુલસી જયંતિનો શુભ દિવસ.

શરૂઆતમાં જ બાપુએ વિનય-વિવેક ભરી ચોખવટ કરી કે ઘણા લોકો વિચારે છે કે રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે? ભગવાન રામ સેતુ બનાવીને જ્યાં સીતા બેઠી છે એ લંકામાં સામેથી ગયા.મારી વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા માટે આવી છે.વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છ.હું રામનાં કદમો ઉપર ચાલી રહ્યો છું. લંકાએ નિમંત્રણ નહોતું આપ્યું કે રામ અહીં આવે. રાવણની અંતરંગ ભાવના આપણે ન સમજી શકીએ એ જ લંકામાં રામ ગયા જ્યાં સીતા બેઠી છે.શાંતિ ચિંતિત છે,સમસ્ત વિશ્વની ઊર્જાનું અપહરણ થયું છે જેનું સામર્થ્ય જગતનું સર્જન,પાલન અને વિલીન કરવાનું છે.માનસ અંતર્ગત સીતા ભગવાનની વિદ્યા અને માયા પણ છે,રામની છાયા પણ છે.અભિન્ન કાયા પણ છે.એક અપહરીત માતૃશક્તિ ખોટા હાથોમાં ગઈ એને પુન:પ્રાપ્ત કરવા માટે ગયા હતા, કોઈને મારવા માટે નહીં.સેતુ બનાવનાર મારતો નથી, તારે છે. સેતુનું નિર્માણ થયું ત્યારે સૌથી પહેલો પથ્થર નલ-નીલ નાગર તેમજ એક ખિસકોલી પણ સહયોગ કરે છે. એક રજકણ અને પર્વત સેતુ નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે.પણ આજે મોર્ડન દુનિયા દરેક પ્રકારના સેતુઓને તોડવા પર તુલી છે.ધનુષ્ય તોડો! સેતુ ન તોડો.સમષ્ટિના અહંકારરૂપી મહાદેવનું ધનુષ્ય તોડો.

આટલા સમયથી યુદ્ધો ચાલી રહ્યા છે.ઘણી વખત કહ્યું છે આજે પણ સાહસ કરું છું કે મનોરથ થયો છે કે જ્યાં યુદ્ધ ચાલે છે એની વચ્ચે વ્યાસપીઠને લઈ જવી છે,બોર્ડર પર જવું છે.

ગુરુ પ્રસાદ કહે છે કે અહલ્યાનો ઉધ્ધાર થયો પછી શીલા ત્યાં જ હતી.રામ લક્ષ્મણને આજ્ઞા કરે છે કે કોઈને ખબર ન પડે એ રીતે એ શીલાને ઉંચકી લો. લક્ષ્મણ એક પણ પ્રશ્ન વગર શીલાની સૂક્ષ્મતાને ઉઠાવે છે.ગુરુ આજ્ઞા કરે ત્યારે ‘શા માટે’ એવું ન પૂછવું જોઈએ.યુવાન ભાઈ-બહેનો!બોજ એવી રીતે ઉઠાવો કે ભાઈ,બહેન,મા-બાપ પરિવારને પણ ખબર ન પડે માત્ર ગુરુને ખબર પડે.આ જ ગુરુપ્રસાદ છે. એક નારીને મારી ચરણરજે મુક્ત કરી એ જ શીલા આજે ફરી એક નારી(સીતા)ને મુક્ત કરશે.રામ પહેલા શીલા રૂપી પથ્થર મૂકીને સેતુબંધ કરે છે. બાપુએ જણાવ્યું કે માફ કરજો પણ પહેલી વખત કહી રહ્યો છું કે અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં જે શીલાનું પૂજન થયું,પાયાનાં પથ્થર રૂપી-સૌથી પહેલી શીલા તલગાજરડાએ રાખી હતી.રામ શીલા-પથ્થર લઈને સેતુ બનાવે છે,હું પોથી લઈને સેતુ બનાવી રહ્યો છું,એટલા માટે અહીં આવ્યા છીએ.

સમાજમાં કોઈ માતૃ શરીરનું અપમાન થાય એ સમયે કવિ સૌથી પહેલા આવે છે એટલે કપિશ્વરની પહેલા કવિશ્વરની વંદના તુલસીએ કરી છે.

અમે પથ્થરો લઈને નહીં,પોથી લઈને આવ્યા છીએ. નાભાજી જેને ભક્ત માળનો મેરુ કહે છે,જગતનાં નક્ષત્રોમાં જે ચાંદ છે એવા તુલસીદાસજીની જયંતિની સૌ કોઈને ખૂબ-ખૂબ વધાઈ આપીને બાપુએ કહ્યું કે અહીં રહેલા વિશ્વ વિદ્યાલયનાં નિયમોને કોઈ જો તકલીફ ન થાય તો ચારેય વેદ, રામચરિતમાનસ અને વાલ્મિકી રામાયણ અહીં રાખીને જાવું છે,આપના નિયમમાં તકલીફ ન થાય તો આ વૈશ્વિક ગ્રંથોની સ્થાપના કરવી છે.

આવી રામકથાથી દુનિયાને મંગલ કરનાર તુલસીજીને પ્રણામ કરીને કહ્યું કે આ સરળતા ભરી ગહનતા અને ઊંચાઈથી ભરેલા ઊંડાણ વાળો ગ્રંથ છે.જેનું ઊંડાણથી દર્શન પણ કરજો.

એ પછી રામકથાના ક્રમને લઈને ભગવાન રામના પ્રાગટ્યનાં વિવિધ કારણોની ચર્ચા અને અયોધ્યામાં રામ પ્રાગટ્ય અગાઉની પંક્તિઓનું ગાયન કરીને કથાના મધ્ય દિવસે,મધ્યાહનના સમયે હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયની ત્રિભુવનીય વ્યાસપીઠ પરથી સમગ્ર ત્રિભુવનને રામ પ્રાગટ્ય અને તુલસી પ્રાગટ્યની એક સાથે વધાઈઓ આપવામાં આવી.

કથા-વિશેષ

ગૃહસ્થનાં અને ગુરુનાં ઘરમાં મળતા પ્રસાદ વચ્ચે શું અંતર છે?

ગૃહસ્થનાં ઘરમાં પ્રસાદ નહીં વિષાદ હોય છે. સંસારીનાં ઘરમાં આયાસ-પ્રયાસ હોય,ગુરુનાં ઘરમાં સહજતા હોય.ગૃહસ્થનાં ઘરમાં યંત્ર હોય,ગુરુનાં ઘરમાં મહામંત્ર હોય છે.સંસારીઓનાં ઘરમાં વિપુલ માત્રામાં સાધનો પણ ગુરુનાં ઘરમાં અખંડ સાધના હોય.ગૃહસ્થનાં ઘરમાં અસૂયા હોય,સદગુરુનાં ઘરમાં અનસુયા રહે છે.ગૃહસ્થના ઘરમાં સ્પર્ધા જ્યારે ગુરુનાં ઘરમાં માત્ર શ્રદ્ધા હોય છે.ગૃહસ્થનાં ઘરમાં સુખ પણ હોય દુઃખ પણ હોય,ગુરુ સુખ દુઃખથી પર હોય છે.

ગુરુ ત્રણ પ્રકારે પ્રસાદ વહેંચે છે:સવિતા-સૂર્ય દ્વારા, કવિતા-વાલ્મિકીજી જેવા કવિઓની રચના દ્વારા અને સરિતા દ્વારા.જ્યાં સવિતા-સૂર્ય સત્ય છે,કવિતા પ્રેમ છે અને કરુણા વહેતી સરિતા છે.

શેષ-વિશેષ

🌿 તુલસી જયંતિ મહોત્સવ-હાર્વર્ડ યુનિવર્સિટી 🌿

આજે સાંજે હાર્વર્ડ યુનિવર્સિટીનાં ઐતિહાસિક હોલમાં સાદગી સભર પણ ગરિમાપૂર્ણ સમારંભમાં તુલસી જયંતિનાં પાવન અવસર પર ભારતીય સંસ્કૃતિ,સંત પરંપરા અને ગોસ્વામી તુલસીદાસજીનાં અમૂલ્ય યોગદાન પર ભારત તથા વિદેશી સ્કોલર્સમાં વિચારો,પ્રવચનો પ્રસ્તુત થયા.

તુલસીજીએ રામચરિત માનસનાં માધ્યમથી ભગવાન શ્રીરામનાં આદર્શો,મર્યાદા,ભક્તિ અને માનવીય મૂલ્યોને ઘટ-ઘટ,જન-જન સુધી પહોંચાડ્યા,એમની વાણી અને સાહિત્ય આજે સમગ્ર વિશ્વને,સત્ય, પ્રેમ,કરુણા,ધર્મ,સદાચારનો રાહ બતાવે છે.વિદેશની ધરતી પર પહેલીવાર તુલસી જયંતિ ઉજવણીનાં આયોજનથી ભારતીય જ્ઞાન,અધ્યાત્મ અને સંસ્કૃતિની સુગંધ વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં સહભાગી દેશ-વિદેશનાં વિદ્વદજનોની બાપુનાં શુધ્ધ અને શુભ હસ્તોથી વાલ્મીકિ,વ્યાસ,તુલસી અને રત્નાવલી એવોર્ડથી વંદના કરવામાં આવી. એ પળ બધા જ ધર્મો અને ભારતીય સનાતન સંસ્કૃતિ માટે ધન્ય,ગૌરવ અને આનંદની અનુભૂતિ કરાવનારી રહી.

સંત તુલસીદાસજીનાં ચરણોમાં ‘ફૂલછાબ’નાં કોટિ-કોટિ નમન.

== સમાપ્ત ==

Related posts

વેલકમ ટુ ધ જંગલ’નું ‘દીવાના હૈં’ રિલીઝ, જૂના બોલીવૂડની યાદો તાજી કરી

truthofbharat

ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલનું ૧૭મું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું

truthofbharat

હેવમોરે વર્લ્ડ આઇસક્રીમ ડે ઉપર સ્વિટ સરપ્રાઇઝ સાથે ‘ધ હેપ્પીએસ્ટ સંડે’ની ઉજવણી કરી

truthofbharat

Leave a Comment