નવી દિલ્હી | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આજે પોતાનો 60મો રાઈઝિંગ ડે ગૌરવપૂર્ણ અને ભવ્ય રીતે ઉજવ્યો. માનનીય કેન્દ્રિય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે પરંપરાગત પરેડનું નિરીક્ષણ કર્યું, જેમાં બીએસએફની શૌર્ય, શિસ્ત અને ઓપરેશનલ ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન થયું.
પરેડ પછી યોજાયેલા ગાલા ડિનર દરમિયાન બીએસએફના મહાનિદેશક દલજિતસિંહ ચૌધરી દ્વારા બીએસએફના ટોચના અધિકારીઓ અને જવાનોની હાજરીમાં કોફી ટેબલ બુક “ઓપરેશન સિંદૂર – એક વિજય ગાથા” નું વિમોચન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત પાકિસ્તાન બોર્ડર પર કાશ્મીરથી માંડીને ગુજરાત સુધી બી એસ એફના જવાનો દ્વારા સાહસ અને સમર્પણ દ્વારા ભારતીય સરહદોનું રક્ષણ કરવામાં આવ્યું તેનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. બી એસ એફએ હજારોની સંખ્યામાં આવેલા પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોને તોડી પાડવાની સાથે સાથે પાકિસ્તાન તથા પી ઓ કે માં આવેલી ચોકીઓને ધ્વસ્ત કરી નાખી હતી. બી એસ એફના અદ્વિતીય પરાક્રમને આ પુસ્તકમાં સુપેરે રજુ કરાયું છે.
ઓપરેશન સિંદુરમાં બીએસ એફના યોગદાનને બિરદાવવા બી એસ એફના ડી જી દલજિતસિંહના માર્ગદર્શન હેઠળ એ ડી જી સતીશ ખંડારેના નેતૃત્વમાં રાજસ્થાન બી એસ એફના આઈ જી એમ એલ ગર્ગ દ્વારા આ પુસ્તકનું સર્જન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું લેખન રવિ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેને શ્રદ્ધા મોજીદ્રાએ આકર્ષક ડિઝાઇન દ્વારા જીવંત બનાવ્યું છે, જ્યારે ટેકનોલોજી અને પબ્લિશિંગ વિઝન રાવલ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે અને સમગ્ર પ્રોજેક્ટનું સંકલન ડૉ. તેજસ મોજીદ્રા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
==========
