અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — તાજેતરમાં જ આગામી ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ લોન્ચિંગ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. નવાઈની વાત એ છે કે ફિલ્મના મુખ્ય અભિનેતા દેવેન ભોજાણીએ હજુ સુધી પોતાના કોઈપણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ટીઝર શેર કર્યું નથી, જેના કારણે નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા વચ્ચે અણબનાવ હોવાની અટકળો તેજ થઈ છે.
સામાન્ય રીતે કોઈપણ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર લોન્ચ થાય ત્યારે કલાકારો તેને ઉત્સાહભેર પ્રમોટ કરતા હોય છે, પરંતુ ‘ધબકારો’ના કિસ્સામાં મુખ્ય કલાકાર દેવેન ભોજાણીની આ પ્રકારની ‘સૂચક ચુપકીદી’ અનેક સવાલો ઉભા કરી રહી છે.
ટીઝર રિલીઝ થયાના કલાકો બાદ પણ લીડ એક્ટર દેવેન ભોજાણી દ્વારા કોઈ પોસ્ટ કે સ્ટોરી મૂકવામાં આવી નથી.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો મુજબ, પોસ્ટ-પ્રોડક્શન અથવા પ્રમોશનલ સ્ટ્રેટેજીને લઈને અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક વચ્ચે કોઈ બાબતે અસંતોષ હોઈ શકે છે.
આ બાબતે હજુ સુધી નિર્માતા કે દિગ્દર્શક તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ફિલ્મ ‘ધબકારો’ જે ૧ મે, ૨૦૨૬ના રોજ ગુજરાત દિવસ પર રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે પ્રમોશનના શરૂઆતના તબક્કે જ સર્જાયેલી આ ખેંચતાણ ફિલ્મની સફળતા પર શું અસર પાડશે તે જોવું રહ્યું. શું આ માત્ર એક પ્રોફેશનલ મતભેદ છે કે પછી કોઈ મોટો વિવાદ, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
